16/02/2022
પ્રેમ કરવા પણ નફરતની છરી વપરાઈ રહી છે એ સભ્ય સમાજ માટે શુભ સંકેત નથી...
-------
ગળુ માત્ર ગ્રીષ્માનું જ નહી લોકોની ચુપ રહેવાની, તમાશબીન બની રહેવાની માનસિકતાનું પણ રહેંસાયુ છે.
-------
ધર્મના અને જાતિના નામે ઉકળતું લોહી નજર સમક્ષ રહેંસાઈ જતી દીકરીને જોઈને પણ ઠંડુ રહેતુ હોય તો સમજી લેવું જોઈએ કે આપણામાં કંઈક ખુટે છે.
તમારો આવેગ કોઈક ખોટી દીશામાં વેડફાઈ રહ્યો છે જેના કારણે સાચી વાત પર પ્રતિક્રિયા આપવાની સુધ ખોઈ બેઠા છો. હત્યાને રોકવાનો પ્રયાસ સુધ્ધા નહી કરવાની નપૂંસક નિષ્ક્રિયતા જ્યારે જાતિગત, રાજકીય કે ધાર્મિક મુદ્દે અચાનક સક્રીય થતી હોય તો માની લેવુ કે તમારી જાત પર કોઈ અદ્રશ્ય શક્તિઓએ કાબુ મેળવી લીધો છે.
આ અદ્રશ્ય શક્તિ ક્યારેક ધર્મના નામે, ક્યારેક ભાષાના નામે, ક્યારેક જાતિ ના નામે, ક્યારેક પ્રાંત ના નામે તમારી ચેતનાને હણીને તમારી લાગણીઓ પર કાબુ મેળવી રહી છે.
અમુક હત્યા પર ગોકીરો અને અમુક હત્યા પર મૌન રાખવાની બેવડી માનસિકતા તમને ક્યારે હત્યામાં સામેલ કરી દે એ તમને ખ્યાલ જ નથી રહેતો. દલિત પરના અત્યાચાર પર દલિતો જ લડે, પાટીદારોના અન્યાય સામે પટેલો જ બહાર આવે એટલુ જ નહી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી અને મહીલાઓ માટે મહીલાઓ જ અવાજ ઉઠાવે એવી સંકીર્ણ થતી સોચ બીજા માટે લડવાનું વિસરાવી રહ્યુ છે.
સોશીયલ મીડીયા પર , ફેમીલી ગ્રુપમાં, ઓફીસ કે પાનના ગલ્લે કોઈ એકના સમર્થન અને વિરોધમાં વ્યક્તિગત સંબધોને ખોઈ બેસતા હોય એવા અસંખ્ય કીસ્સા આપણે જોઈએ છીએ. ધર્મ જાતિ કે પક્ષના મુદ્દે ગાલીગલોચ, ચારિત્રહનન, બીભત્સ મજાક કે વર્તન તમારી અંદર શાબ્દીક હિંસાના માધ્યમથી એક હિંસક વ્યક્તિત્વનું નિર્માણ કરતુ રહે છે. અસહિષ્ણુતા કે અસંમતિ ક્યારે નફરતમાં પરિવર્તિત થઈ જાય છે એનો ખ્યાલ જ નથી રહેતો જેનુ પરિણામ તમારા એક્શન કે રીએક્શનમાં દેખાય છે.
કબીરખાન જેવા ફીલ્મી પાત્રોની અસર, વેબ સીરીઝના ગાળો, હીંસા અને બિભત્સતા પીરસતુ મનોરંજન આ પેઢીમાં પામી લેવાની પિશાચીવૃત્તિને જન્મ આપે છે. આજની પેઢીમાં આટલી ઉગ્રતા, આક્રમકતા અને અધીરાઈ કેમ જોવા મળે છે ?
આ પ્રશ્નનો જવાબ જ્યાં સુધી નહી શોધીએ ત્યાં સુધી પ્રેમના, જાતિના અને ધર્મના નામે પિશાચીપણું આપણી આંખો સામે નગ્ન નાચ કરતુ રહેશે.
પ્રેમ પામવાની નહી પાંગરવાની પ્રક્રિયા છે, ભોગવવાની નહી ભળી જવાની નિખાલસતા નુ નામ છે.બદલાતા સમાજે પ્રેમની વ્યાખ્યા બદલી નાખી છે. પ્રેમ કરવા પણ નફરતની છરી વપરાઈ રહી છે એ શુભસંકેત નથી...
જયરાજસિંહ પરમાર