12/03/2026
....ભારત સરકાર ભારતભરમાં લગભગ દોઢ કરોડ છોકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવા જઈ રહી છે...
આવે વખતે જાણી લો શું છે અફવાઓ અને શું છે હકીકત ??
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*સર્વાઈકલ કેન્સર રસી : અફવાઓ અને હકીકત*
-- ડો. નેહલ વૈદ્ય, એમ બી બી એસ, ડી સી એચ.
બાળ રોગ નિષ્ણાંત
https://t.me/DrNehalVaidya/494
આખરે ભારત સરકારનું ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણનું અભિયાન ચાલુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારામને છેક ફેબ્રુઆરી ૨૦૨૪ના બજેટમાં આ વિશે જાહેરાત કરી હતી.
*અચ્છા? આ રસીકરણ ચાલુ કરવાની જરૂર કેમ ઉભી થઈ?*
* ભારતમાં સ્ત્રીઓ માટે નંબર વન કિલર કેન્સર છે બ્રેસ્ટ કેન્સર. બીજો નંબર આવે છે ગર્ભાશયના મુખના કેન્સરનો.
મેડિકલ ભાષામાં તેને સર્વાઈકલ કેન્સર કહેવાય છે. (કેમ કે ગર્ભાશયના મુખને એનેટોમીની ભાષામાં સર્વીક્સ કહેવાય છે.)
* તમને જાણીને નવાઈ લાગશે કે સમગ્ર ભારતમાં દરવર્ષે લગભગ સવા લાખ જેટલા સર્વાઈકલ કેન્સરના નવા કેસ નોંધાય છે અને કબભાગ્યે તેમાંથી ૭૫૦૦૦ લાખ જેટલા બહેનોનું મૃત્યુ થાય છે. મતલબ કે દર આઠ મિનિટે એક મહિલાનું મૃત્યુ થાય છે.
* ગુજરાતની વાત કરીએ તો નવા કેસ અંદાજે આઠથી નવ હજાર અને વાર્ષિક મૃત્યુ અંદાજે પાંચથી છ હજાર જેટલા થાય છે.
* હવે તમે જ કહો કે આવા મહાભયાનક કેન્સરને રોકી શકે તેવી રસી આવી ગઈ હોય તો શું આપણે આપણા દેશની સ્ત્રીઓને બચાવવી ન જોઈએ?
*ઓ હો. સર્વાઈકલ કેન્સરનું પ્રશ્ન આટલો મોટો હશે એ તો ખબર જ નહોતી, પણ રીલ્સમાં અમે જોયું હતું કે, ખરેખર આ કેન્સર આટલા પ્રમાણમાં થતું જ નથી. તો શું એ રીલવાળા ખોટા?*
* અલબત્ત ખોટા. આવા જુઠથી ભરેલા વિજ્ઞાન વિરોધી રીલ્સ એવા લોકો બનાવે છે, જેમને ગમે તેમ કરીને વધુ વ્યૂ મેળવવા છે.
તેમને વૈજ્ઞાનિક અને સાચી આંકડાકીય માહિતી સાથે સ્નાન-સૂનકનોય સંબંધ હોતો નથી. એક સંવેદનશીલ વીડિયો વાયરલ થઈ જાય એટલે બસ.
ગુજરાતીમાં કહેવત છે વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો! એટલે કે બીજાનું ભલે ગમે તેટલું નુકસાન થાય પણ પોતાને ફાયદો થવો જોઈએ!
*પણ ડોક્ટર, પ્રશાંત ભૂષણ જેવા બાહોશ વકીલ પણ ‘એક્સ’ પર લખી રહ્યા છે કે, આ રસીથી જ સર્વાઈકલ કેન્સર થાય છે?શું એ પણ ખોટા?*
* પ્રશાંત ભૂષણ એક બાહોશ અને નિડર વકીલ હોઈ શકે છે, સારા એક્ટિવિસ્ટ હોઈ શકે છે, પણ એ જીવવિજ્ઞાનને સમજે એવા ડોક્ટર નથી.
એમણે કરેલી વાત સો ટકા ખોટી છે. કેવી રીતે એ સમજીએ : તેમણે જે પોસ્ટ ‘એક્સ’ પર ક્વોટ કરી છે તે પોસ્ટ એવું કહે છે કે, આ રસીથી સામાન્ય જનતામાં થતા મોતથી વધુ મોત થાય છે. યાદ રાખો કે એ પોસ્ટમાં મોતની વાત છે. એચપીવીથી કેન્સર થવું અને પછી મોત થયા એવી કોઈ વાત જ નથી. એટલે વકીલ સાહેબ ત્યાં જ ગેરમાર્ગે દોરી રહ્યા છે.
* રહી વાત મોતની, તો એમણે મૂકેલી પોસ્ટ પ્રમાણે કુલ ૨૦,૦૦૦ ડોઝ આપવામાં આવ્યા હતા, જેમાં ૨૧ મોત થયા હતા. એ વાત બરાબર સમજો કે આ મોતને રસી સાથે કોઈ જ લેવા-દેવા નહોતા, કોઈના મૃત્યુ બીજા રોગથી હતા, તો અમુક આત્મહત્યા પણ હતી.
આવા બધા મૃત્યુનું આળ રસી વિરોધી લોકો રસી ઉપર મૂકી દે છે! આ કારણે લાખો લોકો ગેરમાર્ગે દોરાય છે અને રસી ન લેવાને કારણે રોગનો ભોગ બને છે. મોતને ભેટે છે.
*રહેવા દયો ડોક્ટર, ભારતમાં પણ જ્યારે આ રસીનું પરીક્ષણ થયું ત્યારે સાત મૃત્યુ થયા હતા. એક રીલમાં અમે હમણા જ જોયું આના માટે શું કહેશો?*
* તેલંગાણાના ખમ્મમ અને ગુજરાતના વડોદરામાં લગભગ ૨૪૦૦૦ આદિવાસી છોકરીઓને આ રસી મૂકવામાં આવી હતી. આ પ્રોજેક્ટ ‘પાથ’ નામની સંસ્થાએ કર્યો હતો, જેમાં આઈસીએમઆરનો સહયોગ હતો. આ દરમ્યાન સાત છોકરીના મૃત્યુ થયા હતા.
* ભારત સરકાર અને સુપ્રીમ કોર્ટે આ બાબતે તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, સાતમાંથી એક પણ મૃત્યુ રસીની આડઅસરને કારણે થયું નહોતું, કોઈને ઝેરી સાપ કરડ્યો હતો, તો કોઈને મેલેરિયા થયો હતો. આત્મહત્યાનો કેસ પણ થયો હતો.
આ બધા જ મોત અને રસીને કોઈ જ સંબંધ નહોતો એ દીવા જેવું સ્પષ્ટ થયું હતું.
*અમે તો હમણાં એવી પોસ્ટ વાંચી જેમાં કહ્યું હતું કે, ૨૦૧૩માં જાપાનમાં આ રસીકરણ કર્યા બાદ અનેક છોકરીઓને ચક્કર આવ્યા, હાથમાં ઝણઝણાટી થઈ અને ખૂબ નબળાઈ લાગી. શું આ ઘટના સાચી નથી?*
* આ ઘટના ચોક્કસ સાચી છે અને આ ઘટનાને કારણે જ જાપાનમાં રસીકરણ રોકી દેવું પડ્યું હતું, પણ આવું બનવાનું સાચું કારણ તમે જાણશો, તો તમને ખૂબ નવાઈ લાગશે.
* બન્યું એવું કે, અમુક છોકરીઓએ આવા લક્ષણો આવ્યા એટલે લોકોએ તેમના વીડિયો બનાવીને શેર કરવા માંડ્યા, આ કારણે ધીમે-ધીમે સમાજમાં રસી માટે ભય વ્યાપી ગયો.
ભય એટલો વધી ગયો કે, રસી લેવા જનાર છોકરી ઓ રસીના નામથી જ ફફડવા માંડી આ કારણે ત્યાં લગભગ માસ હિસ્ટેરિયા જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ!
એટલી હદે કે રસીનો કોઈ વાંક ગુનો ન હોવા છતાં પણ સરકારે આ કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો!
*પણ રસીથી આવું નથી થતું એ સાબિત કેમ થયું?*
* ડોક્ટરોએ અમુક છોકરીઓને રસીની જગ્યાએ સાદું પાણી ઈન્જેક્શનમાં આપવા માંડ્યું અને આવી છોકરીઓને પણ એવા જ લક્ષણો આવવા લાગ્યા, આ રોગને વિજ્ઞાનીઓએ નામ પણ આપ્યું ‘ઈમ્યુનાઈઝેશન સ્ટ્રેસ રિલેટેડ રિસ્પોન્સ’.
* હાલે ૨૦૨૨માં જાપાને ફરીથી આ રસીકરણ ચાલુ કરી દીધું છે અને આજે ૨૦૨૬ સુધી ચાલુ જ છે, પહેલાંવાળી કહેવાતી આ અસરો અદૃશ્ય થઈ ગઈ છે. કેમ કે, તે માનસિક તકલીફ હતી. રસીને કારણે નહોતી થતી.
*તો શું આ રસી ખરેખર સુરક્ષિત છે?*
* હા, વિશ્વભરમાં કેટલાય વર્ષોથી આ રસી અપાઈ રહી છે. અત્યાર સુધી લાખો ડોઝ અપાયા છે, જો રસીથી કેન્સર થતું હોત, ભયંકર આડઅસરો આવતી હોત, તો અત્યાર સુધી હજારોની સંખ્યામાં આવી ફરિયાદો આવી હોત.
*પણ અમે તો એવું સાંભળ્યું કે, બિલ ગેટ્સ રસી દ્વારા ગરીબ દેશોની વસ્તી ૧૦-૧૫ ટકા ઓછી કરવા માંગે છે. શું રીલમાં કહેલી આ વાત સાચી છે?*
* કોઈની વાતને તોડી મરોડીને કેવી રીતે મૂકી શકાય એ કોઈ આ સોશિયલ મીડિયાના કહેવાતા ઈન્ફ્લ્યુએન્સર અને રસી વિરોધીઓ પાસેથી શીખે!
* અસલમાં બિલ ગેટ્સે એક TED TALKમાં એમ કહ્યું હતું કે, જો આપણે નવી રસીઓ, આરોગ્ય સેવાઓ અને સ્વાસ્થ્ય પર સારું કામ કરીશું, તો આપણે વસ્તી વધારાને ૧૦-૧૫ ટકા જેટલો ઘટાડી શકીશું.
* આ વાતમાં રસીથી કોઈને વંધ્ય બનાવીને વસ્તી ઘટાડવાની કોઈ જ વાત નહોતી, પણ જેને તોડી મરોડીને પોતાનો કક્કો સાચો કરવો હોય એ તો એવું કરવાના જ ને?
*એટલે કે રસીકરણથી વાંઝિયાપણું કે વંધ્યત્વ નથી આવતું એમ જ કહો છો ને?*
* હા, નવી કોઈ પણ રસીની કેમ્પેન આવે ત્યારે આવી વાત હંમેશા જોર પકડે છે. પોલિયોની રસી હોય, એમ.આર. રસી હોય કે અન્ય કોઈ પણ રસીની કેમ્પેન હોય ત્યારે આ જુઠી થિયરી હંમેશા ચર્ચાનો વિષય બને છે.
એચપીવી રસી અને વંધ્યત્વને કોઈ જ સંબંધ નથી, તેનાથી સ્ત્રીઓની બાળક પેદા કરવાની ક્ષમતા પર કોઈ જ અસર આવતી નથી.
*ઓકે, અચ્છા ડોક્ટર, હવે એ કહો કે આ રસી કોને આપવામાં આવશે?*
* સરકારી કાર્યક્રમ પ્રમાણે એવી દરેક છોકરી જેનો ૧૪મો જન્મદિવસ આવી ગયો છે, પણ ૧૫મો જન્મદિવસ નથી આવ્યો, તે દરેકને રસી મૂકવામાં આવશે. આ માટે શરૂઆતમાં તેમના હેડ કાઉન્ટ સર્વે કરવામાં આવશે. (જે હવે થઈ ગયો છે.)
* રસીકરણનો પ્રારંભ ૨૮-૨-૨૬થી થઈ ચૂક્યો છે.
*શું ગુજરાતમાં પણ રસીકરણ ચાલુ થઈ ગયું છે?*
* હા, ગુજરાત અને કચ્છમાં પણ એચપીવી રસીકરણ ચાલુ થઈ ગયું છે. દરેક સરકારી દવાખાનામાં આ રસી મૂકવામાં આવે છે. આરોગ્ય મંદિર, પી.એચ.સી., સી.એચ.સી., જિલ્લા હોસ્પિટલમાં તેમજ મેડિકલ કોલેજોમાં રસીકરણ હાલે ચાલુ છે.
*રસીકરણ ચાલુ છે? શું સમય છે? શું આડઅસરો આવે છે?*
* હા, રસીકરણ ચાલુ છે. આર.સી.એચ.ઓ. સાહેબ સાથે વાત થવા મુજબ સવારે ૯થી બપોરે ૨ વાગ્યા સુધી રસી મૂકવામાં આવે છે. સામાન્ય ઈન્જેક્શનના દુઃખાવા સિવાય કોઈ મોટી આડઅસર ક્યાંયથી પણ રિપોર્ટ થઈ નથી.
*કેટલા ઈન્જેક્શન લેવા પડે?*
* સરકારી કાર્યક્રમ પ્રમાણે ગાર્ડાસીલ-૪ નામની રસીનો એક જ ડોઝ મૂકવામાં આવી રહ્યો છે. વિશ્વભરના અભ્યાસો કહે છે કે, આ રસીનો એક ડોઝ પણ ૧૦ વર્ષ સુધી પૂરતા પ્રમાણમાં રક્ષણ આપે છે.
*પણ ૧૪ વર્ષની છોકરીઓને જ કેમ મૂકવાનું?*
* ૧૪ વર્ષ મૂકવાનું કારણ એ છે કે, ૯થી ૧૪ વર્ષની ઉંમરે આ રસીની સૌથી સારી અસર આવે છે. વળી, ૧૫ વર્ષ બાદ જો સારી અસર લેવી હોય તો ત્રણ ડોઝની જરૂર પડે છે. આમ, ૧૪ વર્ષની ઉંમર સૌથી યોગ્ય છે.
*આ કેમ્પેન કેટલા દિવસ ચાલશે?*
* સમગ્ર ભારતમાં લગભગ દોઢ કરોડ છોકરીઓને ૯૦ દિવસ એટલે કે ત્રણ મહિના દરમ્યાન આવરી લેવાની આશા છે. આવું તો જ શક્ય બને જો આપણે બધા જુઠ્ઠા લોકોની વાતમાં ભોળવાઈ જવાને બદલે આ રસીકરણમાં ઉત્સાહભેર ભાગ લઈએ.
*શું આ રસીકરણ શાળાએ શાળાએ કરવામાં આવશે?*
* ના, આ રસીકરણ યોગ્ય આરોગ્ય કેન્દ્રોમાં જ કરવામાં આવશે, જ્યાં ડોક્ટરો અને સાધન સામગ્રી હાજર હોય, જેથી ભૂલેચૂકે કોઈને કંઈ તકલીફ પડે તો તરત ધ્યાન આપી શકાય.
*આ રસીને બાદમાં દરેક છોકરીને મૂકવામાં આવશે એવું અમે વાંચ્યું, શું એ વાત સાચી છે?*
* હા, ભારત સરકાર દ્વારા જે રસીકરણ ચાલી રહ્યું છે, તે રાષ્ટ્રીય પ્રોગ્રામમાં આ રસીનો સમાવેશ કરી દેવામાં આવશે. આ પ્રોગ્રામ હેઠળ જ આપણે અત્યારે દરેક બાળકનું રસીકરણ કરી રહ્યા છીએ.
*અમારે રસી લેવા જવાનું છે, તો શું ધ્યાનમાં રાખીએ?*
* આમ તો કંઈ નહીં. દરેક સામાન્ય છોકરી જે ૧૪ વર્ષની છે તે આ રસી લઈ શકે છે.
*જો કે, અમુક કિસ્સામાં આ રસી આપી શકાતી નથી.*
(૧) જો તાવ આવતો હોય કે કોઈ બીમારી ચાલુ હોય.
(૨) રસીની એલર્જી હોય કે યીસ્ટની એલર્જી હોય.
(૩) પહેલાં પ્રાઈવેટમાં રસી લીધી હોય.
(૪) પ્રેગનન્સી હોય.
* અને હા, રસી લેવા જાવ ત્યારે ખાઈ-પીને જવાનું છે. ભૂખ્યા પેટે રસી લેવાય નહીં!
*ડોક્ટર, આ રસી કેવીક અસરકારક છે?*
* વિશ્વભરના અભ્યાસો બતાવે છે કે, આ રસી ૯૦થી ૯૫ ટકા જેટલી અસરકારક છે. આ રસીકરણ જો યોગ્ય રીતે થશે તો ગર્ભાશયના કેન્સરને આપણે ચોક્કસ મોટા પ્રમાણમાં રોકી શકીશું, અનેક પરિવારો પિંખાતા બચશે.
*બધું સમુસૂતરું છે, એમ તમે કહો છો, પણ રસી લેવાથી પહેલાં માતા-પિતાની સહી શા માટે લેવામાં આવે છે? જવાબદારીથી છટકવા?*
* જો એવું હોત તો રસી છેક દવાખાને શું કામ લગાવે છે? આડઅસરની સારવાર માટે પૂરતા ડોક્ટર અને તૈયારી શા માટે રાખે છે? જવાબદારીનું વહન કરવું છે એટલે જ ને?
* સહી લેવાનું કારણ એ છે કે, રસી ફરજિયાત નથી. માતા-પિતા રસી વિશે જાણે સમજે અને પછી રસી લેવા તૈયાર થાય એવો તેનો હેતુ છે.
બીજી વાત એ પણ છે કે, પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ પ્રમાણે પણ આવી મંજૂરીની સહી લેવી જરૂરી છે.
ટેક કેર: અફવાઓથી મુંઝાશો નહીં, ખૂબ મોંઘી રસી સરકાર મફત આપી રહી છે. જરૂર લાભ લેજો.
🧪🧪🧪🧪