13/01/2024
આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મકથી ભરપૂર છે. સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થથી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ શગાળશાહ, સતાધારમાં આપાગીગા, બગદાણામાં બાપાસિતારામ, ભગુડામાં માં મોગલ અને મોણીયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો-જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે દર્શન કરીશું આઈ સોનલ માતાજીના પરમ ધામના…આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મઢડા ખાતે આવેલ આઈ સોનલધામ….
#સોનલધામ
#મઢડા
સોનલધામ ઇતિહાસ!
સૌરાષ્ટ્રના જૂનાગઢથી 30 કીલોમીટર દૂર આવેલ મઢડા ગામે દેવી આઈ સોનલ બિરાજમાન છે. જે ચારણોની શક્તિપીઠ કહેવાય છે. આ ગામ માતા સોનલના પરચા અને ચમત્કારના કારણે લાખો લોકોની આસ્થાનું કારણ બન્યું છે. કહેવાય છે કે માતા આઈ સોનલે એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો ને એમના કર્મોના કારણે આજે દેવી તરીકે પૂજાય છે. તે દેવી શક્તિ છે. આ ગામમાં લોકોની વસ્તી માત્ર 700 જ છે. પરંતુ રોજ હજારો માણસો અહીંયા માતા સોનલના દર્શને આવે છે ને ક્યારેય કોઈ ભક્ત ખાલી હાથ નથી જતો. અહીં મંદિરમાં બેઠેલ માતા આઈ સોનલમાંની કૃપાને અવિરત આશીર્વાદ વરસાવતી મુરતી જોઈને જ આવનાર ભક્તો પાવન થઈ જાય છે. બે પાંચ નહી પણ પૂરા વીસ વીઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
#આઈશ્રીસોનલ
#સોનલમાં
#સોનલધામ